ગઝલ
આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો
સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો
ઈશ્વરનો પાડ માનો કે પડતી નથી સવાર
સૂરજનો અંધકાર નહીં જીરવી શકો
થાકી જશો શરીરની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો
આ ભીડમાંથી માર્ગ નહીં નીકળે અને
એકાંત પણ ધરાર નહીં જીરવી શકો
મારગમાં એક એવી અવસ્થા ય આવશે
જ્યાં મૌનનો ય ભાર નહીં જીરવી શકો
મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો
મિત્રો કે શત્રુઓથી બચી નીકળો પછી
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો
માથું ઘણુંજ નાનું છે પંડિતજીને કહો
આ પાઘડીનો ભાર નહીં જીરવી શકો
મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું
માથે સતત હગાર નહીં જીરવી શકો
આદિલ સુખેથી શ્વાસ નહીં લઈ શકો તમે
એના સતત વિચાર નહીં જીરવી શકો
- આદિલ મન્સૂરી
૨૬મી સપ્ટેમ્બર, ૨૦૦૬. ન્યુયૉર્ક.
Posted in ગઝલ
